નવી સરકારની રચનાની તૈયારીઓ શરૂ: નરેન્દ્ર મોદીને NDAના સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા, નાયડુ અને નીતીશની હાજરીમાં રાજનાથ સિંહે રજૂ કર્યો પ્રસ્તાવ
- 07 Jun, 2024
લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળ્યા પછી હવે નવી સરકારની રચનાને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ છે. બીજેપીના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની સાથે-સાથે કોંગ્રેસનું નેતૃત્વવાળું INDIA બ્લોક પણ સતત દિલ્હીમાં બેઠક કરી રહ્યું છે. આજે નરેન્દ્ર મોદી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. એમ કહેવાઈ રહ્યું છે કે 9 જૂને તેઓ વડાપ્રધાન પદના શપથ લેશે. નરેન્દ્ર મોદીને એક વખત ફરી એનડીએના સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે ત્રીજી વખત બહુમતી પ્રાપ્ત કરી છે. એનડીએ ગઠબંધને 292 સીટો જીતી છે. જોકે બીજેપી એકલી બહુમતીના આંકડા સુધી પહોંચવામાં આ વખતે નિષ્ફળ રહી છે અને તેણ 240 બેઠકો જીતીને જ સંતોષ માનવાનો વારો આવ્યો છે.
એનડીએ સંસદીય દળની બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે એનડીએની આ બેઠક જૂના સંસદ ભવનમાં થઈ રહી છે. પીએમ મોદી મંચ પર હાલ ઉપસ્થિત છે. તેમની સાથે રાજનાથ સિંહ, અમિત શાહ, ચિરાગ પાસવાન, પવન કલ્યાણ, ચદ્રબાબુ નાયડુ અને જેપી નડ્ડુાની સાથે તમામ સાંસદ અને નેતા પણ હાજર છે.
અનુપ્રિયા પટેલ, જીતનરામ માંજી, ચિરાગ પાસવાન, એકનાથ શિંદે, અજિત પવાર, નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ, એચડી કુમારસ્વામી, પવન કલ્યાણ, અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ સહિતના નેતાઓ હાલ મંચ પર હાજર છે. બેઠકમાં હાજર રહેવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, બિહારના સીએમ નીતીશ કુમાર, એનસીપી ચીફ અજિત પવાર, એલજેપી આરના ચીફ ચિરાગ પાસવાન સહિત ઘણા નેતાઓ હાલ સંસદ ભવન પહોંચ્યા છે.
લોક જનશક્તિ પાર્ટીના ચીફ ચિરાગ પાસવાને પોતાના સાંસદોની સાથે બેઠક કરી લીધી છે. તે પછી હવે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની બેઠક માટે સંસદ ભવન પહોંચી ચુક્યા છે. ચિરાગ તેમની સાથે એનડીએ માટેનું સમર્થન પત્ર પણ લઈને પહોંચ્યા છે. ટીડીપી સંસદીય દળની બેઠક પૂરી થઈ ગઈ છે અને હવે ટીડીપીના સાંસદ થોડીવારમાં સંસદ માટે રવાના થશે. જ્યાં તેઓ હાલ એનડીએની સંસદીય દળની બેઠકમાં સામેલ થયા છે.